Saturday 6 June 2020

દમણના નગરપાલિકાના પ્રમુખની પ્રેસ નોટ

દમણ નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં નગરસેવકોની ૨૯/૦૫/૨૦૨૦ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેના વિશે આપણે આગળના બ્લોગમાં ચર્ચા કરી હતી. આ ઠરાવની પ્રેસ નોટ ૩૦/૦૫/૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલ હતી.

મહત્વની વાત એ છે કે નગરપાલિકાના પ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રેસ નોટ જોતા એવી લાગણી થાય છે કે મુકેશભાઇને વારંવાર પ્રમુખ બનાવવા જોઇએ. સરકારી કાર્ય પ્રણાલીનો આટલી હિંમત સાથે વિરોધ ધણા લાંબા સમય પછી દમણના કોઈ ચૂંટાયેલા લોક પ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રેસ નોટમા જણાવ્યા પ્રમાણે નગરસેવકોએ હિંમત કરીને મુખ્ય અધિકારીએ લાગુ કરેલા વેરા વધારાને નગરસેવકોએ નામંજૂર કરી ૨૦% વધારાની ભલામણ કરી હતી.‌

વધુમાં આગળના ફકરામાં જણાવ્યા પ્રમાણે કાયદો દર ચાર વર્ષે મૂલ્યાંકન કરી શકે છે જ્યારે આજ પ્રેસ નોટમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૮મા ૨૦% વધારો કરવામાં આવ્યો હતો તો પછી ૨ વર્ષમાં પાછું મૂલ્યાંકન કરવાની શી જરૂર હતી?

પ્રેસ નોટ મુજબ મુખ્ય અધિકારી બેઠકમાં હાજર હતી જ્યારે આગલા દિવસે મળેલી બેઠકમાં પસાર કરેલા ઠરાવમાં મુખ્ય અધિકારી કુ. ગુરપ્રીત સિંહ હાજર હતી એવો ક્યાંય ઉલ્લેખ નથી કે ઠરાવમાં એમની સહી પણ નથી છતાં પણ પ્રેસ નોટમાં લખ્યું છે કે મુખ્ય અધિકારી બેઠકમાં હાજર હતી. કદાચ હોય શકે.

ઠરાવ અને પ્રેસ નોટ બંન્નેમાં અલગ-અલગ વાર્તા કરી છે. હવે શું સાચું અને કોણ સાચું છે એમાં મથામણ છે.

આ ઠરાવમા જે વિરોધ છે એ કોનાં લાભાર્થે છે એ‌ સમજ પડતી નથી, આ વિરોધથી કોણે લાભ થશે, નગરસેવકોને કે સરકારને? પણ એક વાત નક્કી છે કે દમણના નાગરિકોને કોઇ ફાયદો થવાનો નથી. જો દમણના નાગરિકોને ફાયદો કરાવવો હોયતો આ વેરો વધારો પરત લેવા સિવાય કોઈ ઉપાય નથી.

ખેર, જે પણ હોય એ, ખરી કે ખોટી, દમણના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓમા સરકારી કાર્યપ્રણાલીનો ‌‌વિરોધ કરવાની હિંમત તો આવી!અત્યાર સુધી હાલત એવી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના મતદારોને ભૂલીને પ્રશાસનના ગુલામ તરીકે કામ કરતા હતા.

No comments:

Post a Comment