Friday 19 February 2021

દાનહ અને દદી પ્રદેશ ભાજપને લોકોની નહિ પણ સત્તાની ચિંતા

 





દમણ નગરપાલિકામાં મિલકત વેરામાં અસહ્વય વધારો અને દમણ જીલ્લામાં બિનજરૂરી માર્ગ વિસ્તરણ અને એના માટે જબરજસ્તીથી થતા જમીન સંપાદન વિશેની માહિતી માટે આરટીઆઈ કરી હતી અને પત્ર-વ્યવહાર કર્યો હતો પણ સરકાર તરફથી કોઈ જવાબ નહિ મળતા શ્રી હિરેન જોશી, દમણ શહેર ભાજપ પ્રમુખને મદદ માટે પત્ર લખ્યો હતો, જેની પ્રત આગળના બ્લોગમાં આપ્યો છે.

શ્રી હિરેન જોશી તરફથી કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા, શ્રી દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રમુખ, દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ ભાજપને મદદ માટે તારીખ ૦૨/૦૨/૨૦૨૧ના રોજ પત્ર લખ્યો હતો.

શ્રી દીપેશ ટંડેલ, જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તે પોતે પણ એક આરટીઆઈ કાર્યકર્તા છે એટલે એમને ખ્યાલ છે કે માહિતી ન આપવાનું કારણ શું હોય છે અને એટલે જ એમની પાસે મદદ માટે આવ્હાન કરવામાં આવ્યુ હતું, જેના માટે એમને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જે હિસાબે સરકાર દ્વારા ઉતાવળથી જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે તે જોઇને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

૭ દિવસ પુરા થવા છતાં શ્રી દીપેશ ટંડેલ તરફથી કોઈ જવાબ નહિ આવતા એમની પાસે મુલાકાત માટે સમય માંગવા માટે ફોન કરતા એમના તરફથી મુલાકાત માટે સમય આપવામાં નહિ આવ્યો હતો અને ટાળવાની કોશિશ કરવામાં આવી હતી.

ફક્ત બે રસ્તા બનાવવાથી વિકાસ થાય છે? વિકાસ ત્યારે દેખાય જયારે સર્વાંગી વિકાસ થાય. રસ્તાઓ બનવા જોઈએ પણ સાથે-સાથે જે જુના રસ્તા છે તેનો રખ-રખાવ પણ થવો જોઈએ. આજે દમણના દરેક રસ્તાની હાલત ખરાબ છે, જેના કામ ચાલુ છે તેના ઠેકેદારો કામ છોડીને જઇ રહ્યા છે, અનેક કામ અધૂરા પડયા છે અને લોકોને પારાવાર તકલીફ પડી રહી છે.

ઔધોગિક વિસ્તારમાં રસ્તા બિસ્માર પડેલા છે જેના લીધે લાખો માનવ કલાકો અને ઇંધણનો બેહિસાબ વ્યય થાય છે, ઔદ્યોગિક એકમો દમણ છોડીને જઇ રહ્યો છે અને દમણમાં લોકોના રોજગાર ઓછા થઇ રહ્યા છે.

બે લાખની વસ્તી અને ૭૨ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા ગામમાં ૪ લેન અને ૬ લેનના અગણિત રસ્તાઓની કેમ જરૂર છે એ વાત લોકો દ્વારા પૂછવા છતાં સરકાર હજુ સુધી ફોડ પાડીને બતાવી નથી શકી.

શ્રી દીપેશ ટંડેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને ભાજપના આજ સુધીના વ્યવહાર પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપ લોકો માટે નથી પણ લોકો ભાજપ માટે છે, ભાજપને જીતાડવા માટે ફક્ત તેમનો ઉપયોગ થાય છે.

ભાજપનો દાવો છે કે તેમની સવેદનશીલ સરકાર છે પણ આ કેવી સંવેદના છે એજ સમજ નથી પડતી.

Sunday 17 January 2021

દમણ ભાજપના શહેર પ્રમુખને દમણના લોકોની વ્યથા વર્ણવતો પત્ર

   
દમણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે એટલે દમણના લોકોની વ્યથા વર્ણવતો એક પત્ર દમણ ભાજપના શહેર પ્રમુખને લખ્યો છે. 

દમણ નગરપાલિકાના પ્રમુખને નગરપાલિકાના મુખ્ય અધિકારી દાદ નહીં આપતા હોવાથી આ પત્ર લખવાની જરુર પડી છે. જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી અને કલેક્ટર આર.ટી.આઈ. હેઠળ માહિતી નહીં આપતા હોવાની બાબત વર્ણવી છે.

મુખ્ય વિનંતી રસ્તા બિંજરૂરી રીતે પહોળા કરવા અને એના માટે લોકોની જગ્યા જબરજસ્તીથી સંપાદનની બાબત છે.

જોઈએ કેવી કાર્યવાહી થાય છે.





 

Sunday 3 January 2021

દમણની ગ્રાન્ટ-ઇન-એઇડ શાળામાં શિક્ષકોને ૧૬ વર્ષથી નવી પેન્શન યોજનાનો લાભ નહીં મળવા પાછળના જવાબદાર કોણ?





સરકારે વર્ષ ૨૦૦૪થી જૂની પેન્શન યોજનાની જગ્યાએ નવી પેન્શન યોજના ચાલુ કરેલ છે પણ દમણમાં ગ્રાન્ટ-ઇન-શાળાઓમાં હજુ સુધી એ લાગુ નથી થઈ.

કારણ જાણવા માટે એક આરટીઆઇ, શિક્ષણ વિભાગમાં કરવામાં આવી હતી જે એમણે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં મોકલી હતી જ્યાથી એ ઉપ-નિદેશક (હિસાબ)ને મોકલવામાં આવી હતી.

ઉપ-નિર્દેશક (હિસાબ) તરફથી જે માહિતી મળી તે ઉપર આપી છે. એમણે આખી ફાઇલ તો નથી આપી પણ જેટલી પણ માહિતી આપી છે તે સ્ફોટક છે જેનો ફાઇલ નંબર EDN/DMN/NPS/GIA FTS No. 28584 છે.

૨૦૦૪થી નવી પેન્શન યોજના લાગુ પાડવામાં આવી છે પણ સંઘ પ્રદેશમાં હજુ સુધી લાગુ પાડવામાં નથી આવી અને નહીં લાગુ પાડવાનું કારણ એટલું જ કે હજુ સુધી એ એક મેજ થી બીજી મેજ એમ ફર્યા કરે છે પણ નિર્ણય કોઈ નથી કરતું અને છેલ્લા ૧૬ વર્ષથી આ ગ્રાન્ટ-ઇન-શાળાના કર્મચારીઓ પેન્શનના લાભ વગર કામ કરી રહ્યા છે.

મને યાદ આવે છે ૧૯૮૭ પહેલાનો એ જમાનો કે જ્યારે ગોવા, દમણ અને દીવ સાથે હતા અને ત્યારે દમણમાં ફકત એક કલેક્ટર હતા પણ નિર્ણયો ત્વરિત લેવામાં આવતા હતા.

હવે દમણ અને દીવમાં અધિકારીઓની આખી ફોજ છે પણ પ્રજાલક્ષી બાબતોમાં નિર્ણય લેવામાં વર્ષો લાગી જાય છે.

૧૬ વર્ષ પછી પણ ગ્રાન્ટ-ઇન-શાળાના કર્મચારીઓને નવી પેન્શન યોજનાનો લાભ મળવામાં હજુ કેટલા વર્ષો રાહ જોવી પડશે? શું નમાલાઓ જાગશે કે પછી પાંચ વર્ષ પછી પાછા આવીને કહશે કે અમારું કોઈ સાંભળતું નથી?

Tuesday 29 December 2020

33 વર્ષથી દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવમાં કાયમી સુપરિંટેંડિંગ એંજિનિયર કેમ નથી? (ભાગ - ૨)




ભાગ - ૧ માં જણાવ્યા મુજબ ૨૭/૦૧/૨૦૧૬ના મોકલેલ ઈમેલ પર કરેલ કાયૅવાહી વિશે માહીતિ મેળવવા માટે કરેલ આરટીઆઈની અરજી સેકરેટરી પીડબલયુડીને મોકલવામાં આવી હતી પણ પછી કોઇ જવાબ નહી આવતા પહેલી અપીલ કરવામાં આવી ત્યારે ખબર પડી કે અરજી સુપરીટેનડીંગ ઈજનેરને મોકલવામાં આવેલ છે, જેની બાબતમાં આ અરજી કરવામાં આવેલ હતી.

જે સુપરઇન્તેન્ડીંગ એન્જીનીયરના કાયમીપણ માટે અરજી કરી હતી એને એમ કહેવાનો હક આપવામાં આવ્યો કે એ જણાવે કે એ 33 વરસથી કાયમી કેમ નથી? જેનો એણે પુરેપૂરો લાભ લીધો.

ઘણી વખત યાદ કરાવવા છતા અને કોવિડ-19ના કારણે હું અપીલમાં હાજર નહી રહી સકીશ કહેવા પછી પણ ઘણા સમય પછી હૂકમ બહાર પાડયો જેમાં માહિતી અધિકારીને જણાવવામાં આવેલ કે જવાબ કેવી રીતે આપવો જે બિલકુલ ગેરજવાબદારી કહેવાય. હુકમમાં કશે પણ આ અરજી કેટલે ઠેકાણે ફરી, માહિતી અધિકારીએ સમયસર માહિતી કેમ નથી આપી એનો કોઈ ખુલાસો નથી પણ માહિતી કેવી રીતે આપવી એ નોંધેલ છે.

માહિતી અધિકારીએ એમના ઊપરીના આદેશનુ બરાબર પાલન કરીને માહિતી આપી કે ૨૦૦૨થી ફાઇલ પસાર કરવા મુકેલી છે પણ હજુ સુધી એ પસાર નહી થવાથી સુપરીટેનડીંગ ઇજનેર ૧૯૮૭થી કાયમી નથી થયા.

૧૯૮૭થી સુપરીટેંડીંગ ઇજનેર કામચલાવ છે અને સરકારને ૨૦૦૨માં એટલેકે ૧૫ વર્ષ પછી ફુરસદ મળી બનાવવાની અને અને જોવાની વાત એછે કે તે ફાઈલ ૧૮ વરસ પછી પણ પસાર નથી થઈ.

આવું થવાનું કારણ કોઈને ખબર છે? આવુ થવાનું કારણ એ છે કે જો ફાઈલ પસાર થઈ જાય તો કોઈ લોકલ માણસ લાયકાતના આધારે સુપરીટેંડીંગ ઈજનેર બની જાય અને પછી જે ઊપરી અધિકારીઓને મઝા છે તેના પર કાપ આવી જાય અને એટલે જ લોકલના ભોગે બહારથી કામચલાવ સુપરીટેંડીંગ ઈજનેર લાવવામાં આવે છે.

Tuesday 15 December 2020

નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપ-પ્રમુખની મુલાકાત લઇ એમને દમણની હાલની સમસ્યાઓથી વાકેફ કર્યા



દમણ નગરપાલિકાના સર્વ નવનિર્વાચિત સભ્યોને અભિનંદન. શ્રીમતી સોનલબેન પટેલ અને શ્રી આશિષભાઈ ટંડેલને પ્રમુખ અને ઉપ-પ્રમુખ નિમાવા બદલ અને મારા મિત્ર શ્રી ચન્દ્રગીરી ઈશ્વરને વોર્ડ નં ૮માંથી ચુંટાઈને ફરી નગરસેવક બનવા માટે ખુબ-ખુબ અભિનંદન.

ઉપર આપેલ પત્રની સાથે પ્રમુખની શુભેછા મુલાકાત કરી હતી જે ખુબ સારી રહી હતી, પ્રમુખે પત્ર વાંચી બધી વાત ધ્યાન પર લીધી હતી અને રસ્તા પહોળા કરવાના નામે બિન-જરૂરી જમીન સંપાદન અને મિલકત વેરામાં કરવામાં આવેલ બેફામ વધારાની બાબતમાં ધ્યાન દોરતા બનતું કરવાની અને આરટીઆઈ મારફત માંગવામાં આવેલી આ બાબતની માહિતી મેળવી આપવા માટે પણ મદદ માંગી હતી, જે બાબતમાં ઘટતું કરવાની બાંહેધરી પણ આપી હતી.

આશા છે કે પ્રમુખ અને ઉપ-પ્રમુખ લોકોની અપેક્ષા પૂરી કરવામાં ખરા ઉતરે અને એમને સૌનો સાથ-સહકાર મળે જેથી દમણના વિકાસની ગાડી પાટા પર જલ્દીથી પછી ફરે.

Monday 14 December 2020

૩૩ વર્ષથી દાદરા, નગર અને હવેલી અને દમણ અને દીવમાં કાયમી સુપરઈંટેનડીંગ ઈજનેર કેમ નથી? (ભાગ ૧)

 






૨૭/૦૧/૨૦૧૬ના રોજ એડમિનીસ્ત્રેટરને ઇમેલ કર્યો હતો, દમણ અને દીવમાં સન ૧૯૮૭ થી કાયમી ધોરણે સુપરઇન્તેન્ડીન્ગ એન્જીનીયર નીમાયો નથી માટે તાકીદે કાયમી ધોરણે સુપરઇન્તેન્ડીન્ગ એન્જીનીયર નીમવા વિનંતી કરી હતી.

ગોવા, દમણ અને દીવ સાથે હતા ત્યારે દમણમાં એક કાર્યપાલક એન્જીનીયરની પોસ્ટ હતી પણ સાલ ૧૯૮૭માં દમણ અને દીવ, ગોવાથી છુટા પડતા સુપરઇન્તેન્ડીન્ગ એન્જીનીયરની એક પોસ્ટ આપવામાં આવી હતી, જેના પર હજુ સુધી કાયમી ધોરણે ભરવામાં આવી નથી.

દમણમાં સુપરઇન્તેન્ડીન્ગ એન્જીનીયરની પોસ્ટ પર હમેશા બહારથી હંગામી ધોરણે એન્જીનીયર લાવવામાં આવે છે અને દમણ અને દીવ અને દાદરા અને નગર, હવેલીના જાહેર બાંધકામ વિભાગના એન્જીનીયરોના હકો પર તરાપ મારવામાં આવે છે.

આ બાબત વિશે જાણવા માટે એક આરટીઆઈ પ્રસાશકશ્રીની કચેરીમાં કરવામાં આવી હતી, જે ઉપર મુજબ છે.

Friday 6 November 2020

આવા નગરસેવક બનાવાય? (ભાગ ૨)



અહીં મુકેલા પત્ર-વ્યવહારમાં જોઈ શકાય છે કે બેઠકમાં હાજર રહેલા દરેક નગરસેવકોની બાંહેધરી છતાં આટલી મહત્વની અને પ્રજાને સ્પર્શતી બાબતમાં નગરસેવકો ઉદાસીન રહ્યાં અને કોઈ ઠરાવ પસાર કરવામાં ન આવ્યો.

ભાગ 1 માં દર્શાવવામાં આવેલ પત્ર પણ ચર્ચામાં ન લેવાયો હતો. હદ તો એ વાતની છે કે આ લોકો હાજર રહેલા દરેક નગર-જણની સામે જુઠાણું ચલાવ્યું કે 14/12/2017ના રોજ આ બાબત પર પાલિકાની બેઠક બોલાવવામાં આવી છે અને એમાં આ બાબત ચર્ચાવાની છે અને એની માહિતી આપવા અને લોકોના મંતવ્ય લેવા માટે આજે આપ સૌને બોલાવવામાં આવ્યા છે. એના પછી આ બાબત પર ક્યારેય બેઠક બોલાવવામાં આવી જ નથી. 

આ બાબત પર એકજ બેઠક થઇ હતી જેના આધારે આ પત્ર લખવામાં આવ્યો હતો અને એના પછી સૂચનાના અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જેમાં આ નગરસેવકોની પોલ ખુલી જવા પામી હતી. એવું પ્રતીત થાય છે કે આ બેઠક ફક્ત અને ફક્ત લોકોની કોણીએ ગોળ ચોટાડવા માટે બોલાવવામાં આવી હતી.

હવે આપ લોકો જ નક્કી કરો કે કોને ચૂંટવા જોઈએ? જે લોકો ચૂંટાઈને પછી લોક વિરોધી કાર્ય કરે તેને કે જ લોકો તમને કામમાં આવે છે તેમને?

એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ ચૂંટાયેલો સભ્ય એમ નહિ કહે કે અમારું કોઈ સાંભરતું નથી કે અમને કોઈ પૂછતું નથી, એમને પહેલાથીજ ચેતવી દેજો કે આવું એ નહિ બોલવાનો હોઈ એવી ખાતરી હોઈ તો જ મત માંગવા આવજે.